Thursday 6 March 2014

Loneliness or Aloneness?

हर तरफ, हर जगाह, बेशुमार आदमी,
फिर भी तन्हाईयों का शिकार आदमी…!
શાયર નિદાં ફાઝલીએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર? એક ગુજરાતી ગઝલનો શેર યાદ આવે છે:
આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે.
હું ખડક થઇને ઊભો છું ક્યારનો, જળ બનીને તેઓ મને અફળાય છે.

       એકલા પડી જવાનો ભય મોટા ભાગના લોકોને ડરાવે છે. વૃદ્ધો સંતાનોના ત્રાસને સહન કરે છે કારણ કે એ એકલા જીવી શકે એમ નથી. પતિ પર આધારિત (આર્થિક કે ઇમોશનલ) પત્ની એનાં લફરાં અને દાદાગીરી ચલાવી લે છે કારણ કે એ એકલી જીવી શકે તેમ નથી. પડોશીને સહન કરીએ છીએ કારણ કે જંગલમાં જીવી શકીએ તેમ નથી. મિત્રોને સાચવી લઇએ છીએ કારણ કે જિંદગી મિત્રો વિના જીવી શકાય તેમ નથી. સગાંઓને જીરવીએ છીએ કારણ કે સામાજિક સંબંધો આપણે માટે અનિવાર્ય છે.
       લોન્લીનેસ કે એકલતા આપણે કે કોઇપણ માણસ જીરવી શકતા નથી. આજના સમયમાં ઘોંઘાટ જીવવાની જરૂરિયાત બનતો જાય છે. ઘરમાં ટેલિવિઝન, ગાડીમાં રેડિયો, સેલફોન માણસના જીવનની એવી જરૂરિયાત છે કે એને ખાવાનું ન મળે તો ચાલે, પણ આસપાસના અવાજ વિના એ ઘાંઘો થઇ જાય છે. મૌન માણસમાત્ર માટે અઘરું બનતું જાય છે. શાંત, ચૂપ કે એકલા ન રહી શકવાની ગૂંગળામણને માણસ ‘બોર થવાના’ નામથી ઓળખે છે. સતત પ્રવૃત્તિ એ જ એમાંથી છટકવાનો ઉપાય છે. અને ઘણાં તો આ આદતને વળી થોડી રૂપાળી રીતે રજુ કરે છે કે 'દોડતા રહેવું તો નિયતી છે." મારા એક ખાસ મિત્રનો આ એમ કહોને કે જીવનમંત્ર છે. સતત કામ, કામ અને કામ, ઘણીવાર ખુબ જ કામને કારણે જેને અંગ્રેજીમાં આપણે 'વર્કોહોલિક' કહીયે એમ માણસ કામઢો થઇ જાય છે. બીજા માટે તો ઠીક, ખુદ પોતાના માટે પણ તેની પાસે એક પળ નથી કે એક સેકન્ડ નથી. બસ કામ, કામ અને કામ.
       નવથી નવ કામ કરવાથી, ગાડીમાં સંગીત સાંભળવાથી, ઘેર આવીને ટેલિવિઝન જોવાથી, પાર્ટી કે ઝઘડા કરવાથી એકલવાયાપણું દૂર થઇ શકતું નથી. એકલવાયાપણામાં દસ વર્ષના છોકરાથી લઇને સો વર્ષના વૃદ્ધ સુધી કોઇ પણ એકલું પડી શકે. કોઇને પણ એકલતાની ભૂતાવળ ડરાવી શકે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતા દૂર ભાગે છે એવું માનવું માણસની સૌથી મોટી ભૂલ હોઇ શકે. માણસમાત્રને એકલતા ડરાવે છે કારણ કે એકલતાની સાથે અસ્વીકાર જોડાયેલો છે. જગતનો દરેક માણસ ‘સ્વીકાર’ ઝંખે છે. ‘મને કોઇ નથી જોઇતું, હું કોઇનો મોજતાજ નથી’ કહેનાર માણસ પણ ભીતરથી સ્વીકાર અને આવકાર ઝંખે છે. પોતાને કોઇની પડી નથી કહેનારા ખરેખર ડિફેન્સ મિકેનિઝમથી કામ કરે છે. જાતને રક્ષણ આપવાની આ વૃત્તિ ભયમાંથી જન્મે છે. કોઇ પોતાની સાથે સંબંધ તોડી નાખે એ પહેલાં પોતે જ સંબંધ તોડીને નીકળી જવું. કોઇ પોતાને નકારે તે પહેલાં પોતે જ સામેની વ્યક્તિને નકારી દેવી. કોઇ પોતાને ચાહતું નથી એવી નિરાશા જન્મે તે પહેલાં પોતાને પ્રેમમાં, ચાહનામાં, સંબંધોમાં વિશ્વાસ નથી કહીને છટકી જવાની વૃત્તિ ખરેખર તો માણસના મનની આસપાસ રચાતું એક ઇન્સ્યુલેશન છે. જે એને એકલો પડતો અટકાવે છે-એવું માણસ માને છે.
       એકલા પડી જવાની આ પરિસ્થિતિ બીજા લોકોને કારણે ઊભી થઇ હોય ત્યારે એ સ્વીકારવી અઘરી બને છે. કોઇ આપણને તરછોડી કે છોડી જાય એ વાત સ્વીકારવાની આપણામાં તૈયારી હોતી નથી. આપણને લાગે છે કે આ દુનિયામાં એવો કોઇ માણસ છે જ નહીં, જે આપણને નકારી શકે. જે ક્ષણે આવો કોઇ માણસ મળી જાય અથવા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એકલતા અસ્વીકાર્ય પરિસ્થિતિ બને છે. અહમને અકબંધ રાખવા માટે આપણે નકારવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. જે ધીમે ધીમે વધુ એકલતા તરફ ધકેલે છે.
       સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય છે કે સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો. કારણ કે દોસ્ત સંબંધ એક એવું વૃક્ષ છે જેને પાયાથી જ સમય અને સમજણનાં પાણીથી સીંચવું પડે છે. જો આપણને એવો ફાંકો હોય કે મને કોઇની જરૂર નથી, તો એ પણ સમજી લેવું અને સ્વિકારી લેવું જોઇએ કે આપણી પણ કોઇને જરૂર નથી. આ ફાંકો કે અહમ જ માણસને એક્લો પાડી દે છે. એક વાર એકલતાના અનુભવમાં પ્રવેશીએ પછી એક નવો એક્સ્ટ્રિમ (અંતિમ વિચાર) પ્રવેશે છે. જે રીતે જીવતા હતા તે, શહેર અને કામધંધા સહિત ક્યારેક મિત્રો કે પ્રિયજનને પણ પોતાની જિંદગીમાંથી બહાર ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય છે.
       આનું કારણ આપણી અંદરનો અહંકાર છે, જે કહે છે કે, ‘કોઇ આપણને શું નકારી શકે, આપણે જ બધાને નકારી દઇએ.’ આ પરિસ્થિતિ જોખમી છે કારણ કે આ બધું બદલવાથી અંદરનો ખાલીપો બદલાશે નહીં એ નકકી છે. સફળ વ્યક્તિ, કામની વ્યક્તિ, મોટા લેખકો, અભિનેતા, સરકારી પદ પર રહેલી વ્યક્તિઓ કે મિનિસ્ટર્સ જ્યારે સફળતાના શિખરે કે સત્તાના સર્વોચ્ચ પદે હોય છે ત્યારે એમની આસપાસ લોકોની ભીડ હોય છે. પદ કે સફળતા ઓસરી જાય ત્યારે પ્રશંસકો કે ચમચાઓ આસપાસથી ખસી જાય, એ વખતે ખાલીપાનો અનુભવ એમને તોડી નાખે છે. આનું કારણ કદાચ એ છે કે એમણે એ ટેમ્પરરી અનુભવ-કામચલાઉ પરિસ્થિતિને કાયમી માની લીધી. આ બધું તો તમારી સફળતા સાથે મળેલું તમને ઇન્સેન્ટીવ્ઝ કહી શકાય, કે અમારી ગુજરાતી તળપદી ભાષામાં જેને લટકામાં મળેલું કહી શકાય. આ બધું ક્ષણભંગુર હોય છે. કહે છે ને કે "સફળતાનાં સો બાપ, પણ નિષ્ફળતાનો તો ખુદનો પણ નહીં..."
       માણસમાત્રનું અસ્તિત્વ કાયમી નથી. સંબંધો, સફળતા, સત્તા કાયમી નથી. જે આ સ્વીકારી શકે છે એ પરિસ્થિતિ સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી નાખે છે. ‘વિપશ્યના’ની આધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે. આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે.
       પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી! એકાંતની તો પોતાની જ મજા છે. માણસ આ સમયે પોતાની સાથે વાતો કરતો હોય છે. પોતાની સાથે હોય છે અને આ સંગાથની મજા માણતો હોય છે. એકાંતનો સૂર જો સાંભળી શકો અને સમજી શકો તો ક્યારેય જીવનમાં નિરાશા નહીં આવે તેની ગેરંટી...

ફિલ્મ (જો આવ્યું પાછું કેમ!) ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ માં ફરહાન અખ્તર ખુબ સરસ નાનકડી કવિતા બોલે છે…! આ કવિતામાં જાતને ઢંઢોળવાની વાત છે. જાત સાથે દોસ્તી, યારી કરવાની વાત છે.
पिघले निलम सा बहता हुआ ये समां,
नीली नीली सी खामोशियां,
ना कहीं है झमीं, ना कहीं आसमां,
सरसराती हुई टहेनियां, पत्तियां,
केह रही है, बस एक तुम हो यहां,
सिर्फ में हुं, मेरी सांसे है, और मेरी धडकनें,
ऐसी गहेराईयां,
ऐसी तनहाईयां,
और मैं सिर्फ मैं,
अपने होने पे मुझको यकींन आ गया…।
આ એકાંતનો અનુભવ એકવાર કરી જુઓ મિત્રો, જો જો જીવન પરત્વે નો તમારો દ્રષ્ટિકોણ જડમૂળથી બદલાઇ જાશે. એક વાત ગાંઠે બાંધી લો, જે વ્યક્તિ પોતાની જાતને ચાહતી નથી, તે દુનિયામાં કોઇને ચાહી ન શકે…!

So Love yourself, love aloneness, enjoy it! Enjoy yourself, with yourself…

Friday 28 February 2014

ૐ નમઃ શિવાય...

ૐ નમઃ શિવાય

જય ભોળાનાથ,


મિત્રો ગઇકાલે શિવરાત્રી હતી. શિવરાત્રી નવરાત્રીની જેમ રાત્રીનાં ઉજવાતો તહેવાર છે. એમ તો કૃષ્ણ જન્મ પણ રાત્રીનાં જ ઉજવાય છે ને!

શિવરાત્રીની વાર્તા વિશે પણ આપણે સહુ જાણીએ છીએ એમ, પેલા પારધી એટલે કે શિકારીની વાર્તા…
કે પોતાના પરિવારનાં ગુજરાન માટે શિકાર કરતો પારધી એક હરણીને શિકાર કરવા તૈયાર છે, હરણી એનાં પરિવારને મળવા જાય એ દરમ્યાન પારધી જાડ પર ચડીને એનાં પાંદડા નીચે ફેંકતો સમય પસાર કરે છે અને નીચે શિવલીંગ પર આ બધા પાન પડે છે અને જે જાડ પર તે ચડેલો હોય તે જાડ પણ બીલીનું એટલે કે શિવજીનું પ્રિય જાડ હોય છે. અને શિવજી પ્રસન્ન થઇને તે પારધીને દોષ મુક્ત કરે છે અને પોતાની ભક્તિની શક્તિ અને ફળ આપે છે.

આવી કંઇક વાર્તા આ પ્રસંગે નાના હતા ત્યારે દાદા પાસે સાંભળેલી. મહા વદ ૧૪નાં રોજ ધામધુમથી ઉજવાતી આ શિવરાત્રીનું પૌરાણિક મહત્વ પણ ખુબ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવજી) આ ત્રણેય દેવો આ તમામ સૃષ્ટિનાં, જન્મદાતા, પાલક અને સંહારક છે. કંઇક નાશ પામશે તો જ કંઇક નવિન પ્રગટ્શે તેવો એક સત્ય અને સનાતનકાળથી ચાલ્તો ક્રમ છે. શિવ અને વિષ્ણુ અભિન્ન છે. મૂળમાં જગન્નિયંતા સર્વેશ્વર, સર્વ અંતર્યામી એક જ પરમાત્માનાં બે સ્વરૂપો છે.

यथा शिवमयो, विष्णुरेवं विष्णुमयं शिवः”

      બંને એકબીજાનાં ઉપાસક તથા પ્રસંશક છે. બંને “પરસ્પરાત્મનૌ” અને “પરસ્પરાનુતિપ્રિયૌ” છે. બંને પરસ્પર એકમેકનાં હ્રદયમાં વાસ કરે છે.

शिवस्य ह्रदयं विष्णुर्विष्णोश्व ह्रदयं शिवः”

        રામાયણમાં રામેશ્વરની સ્થાપના સમયે પ્રભુશ્રી રામને શિવજીની સ્થાપના અને પૂજા-અર્ચના કરતાં જોઇ લક્ષ્મણજી પ્રભુને સહજભાવે પ્રશ્ન કરે છે કે, ‘આપે આ શિવલીંગનું નામ રામેશ્વર કેમ રાખ્યું?’ ત્યારે ભગવાન વિષ્ણુ જે ત્યારે પ્રભુશ્રી રામ સ્વરૂપે હતાં તે લક્ષ્મણજીની ઉત્કંઠાનો જવાબ દે છે કે,


रामस्य ईश्वरस्य, त रामेश्वर ।
જે રામનો ઇશ્વર છે તે રામેશ્વર છે…

        તો એ જ સમયે કૈલાશપર્વત પર માતા શક્તિ પણ ભગવાન મહાદેવને આ જ સવાલ પૂછી રહ્યા છે કે, પ્રભુએ આ શિવલીંગનું નામ રામેશ્વર કેમ રાખ્યું? ત્યારે માતા સતિને જવાબ આપતા ભોળાનાથ કહે છે કે પ્રભુ શ્રી રામ ભલે કહે કે રામનો ઇશ્વર છે એટલે આ રામેશ્વર છે પરંતુ હકીકતે તો,

रामः ईश्वरस्य सा रामेश्वरो ।
જેમનો ઇશ્વર સ્વયં શ્રીરામ છે તે રામેશ્વર છે…

        કેટલો સુંદર જવાબ અને પરસ્પર કેટલો એકબીજા પ્રત્યેનો અનુરાગ અને આદરભાવ આ બંને વાતમાં વ્યક્ત થાય છે. બંને પરસ્પરને એકબીજાનાં ઇશ્વર કહે છે. શ્રીરામ મહાદેવને પોતાનાં આરાધ્ય માને છે અને ઇશ્વર તરીકે પૂજે છે તો સામે ભગવાન ભોળાનાથ પણ પ્રભુશ્રી રામને પોતાનાં પ્રાતઃસ્મરણિય ગણીને ઇશ્વર તરીકે માને છે.

        ભગવાન મહાદેવનાં કેટલાય સ્વરૂપો છે. તેમાં લિંગ સ્વરૂપ છે તેને આપણે શિવજી કહીએ છીએ અને જે મૂર્તિ સ્વરૂપે છે તેને શંકર. ‘શિવલિંગ’ વિશે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે…

आकाश लिंगमित्याहः पृथिवी तस्य पीठीका ।
आलयः सर्व देवानां लयनाल्लिड्य मुच्यते ॥”

એટલે કે, આકાશ લિંગ છે, પૃથ્વિ તેની પીઠિકા છે, સર્વ દેવતાઓનુમ આલય છે.
તેમાં સર્વોનો લય થાય છે લોપ થાય છે, તેથી જ તેને શિવલિંગ કહેવામાં આવે છે.

        બ્રહ્માંડરૂપી જ્યોતિર્લિંગ અનંતકોટિ છે. લિંગનો સામાન્ય અર્થ ચિહ્ન કે લક્ષણ થાય છે. દેવચિહ્નના અર્થમાં શિવલિંગ શિવજીનું પ્રતિક સ્વરૂપ મનાય છે. બાકીનાં દેવોની પ્રતિમાને મૂર્તિ કહે છે. મૂર્તિમાન સ્વરૂપમાં દેવોનું સ્મરણ કરવામાં આવે છે, જ્યારે લિંગનાં આકાર કે રૂપનો ઉલ્લેખ નથી. તે ચિહ્મ માત્ર છે. લિંગનાં મૂળમાં પરમપિતા બ્રહ્મા, મધ્યમાં ત્રૈલોક્યનાથ ભગવાન વિષ્ણુ અને ઉપર પ્રણવાખ્ય મહાદેવ સ્થિત છે. વેદી મહાદેવી અને લિંગ મહાદેવ છે. આમ, એક શિવલિંગની પૂજામાં સર્વ દેવોની પૂજા થઇ જાય છે.

        પરમપિતા પરમાત્માનું નામ ‘શિવ’ છે. શિવ નો અર્થ છે ‘કલ્યાણકારી’. કોઇપણ ધર્મનો આત્મા મંદિર, મસ્જિદ, અગિયારી વગેરેમાં જાય છે તો પોતાનાં કલ્યાણ અર્થે જ. તેથી સિદ્ધ થાય છે કે ભગવાન કલ્યાણકારી જ હોઇ શકે. ભગવાન મહાદેવનું શિવનું સ્વરૂપ જ્યોતિબિંદુ છે. તે આ જ્યોતિબિંદુ સ્વરૂપ જે છે તે જ છે આ શિવલિંગ. ભગવાનતો નિરાકાર છે. તેઓ તો નામ અને રૂપથી પરે છે. પરંતુ જ્યારે ભક્તો આ રૂપનાં દર્શનની લાલસા રાખે ઇચ્છા રાખે આશા રાખે ત્યારે પરમાત્માએ પણ પોતાનાં રૂપો પ્રગટ કરવા પડે. સ્વરૂપ વગરની કોઇ વસ્તુ કે આશા ન હોઇ શકે. ગુણને રૂપ નથી હોતું પણ ગુણીને રૂપ હોવું જરૂરી છે. પરમાત્માને નામ, રૂપ અને ગુણથી ન્યારા કે પરે સમજવાથી ભક્તિ, જ્ઞાન અને યોગનું ખંડન થાય છે. એટલે ખુદ પરમપિતા પરમાત્માએ પોતાનો પરિચય આપ્યો છે અને આ પરિચયને આપણે શિવલિંગ કહીએ છીએ. ભારતમાં શિવજીનાં સૌથી મહત્વનાં અને પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત એવા બાર જ્યોતિર્લિંગ મંદિરો પણ જ્યોતિબિંદુ સ્વરૂપ મહાદેવની હાજરીનાં પરમસૂચક છે. આ બારે બાર જ્યોતિર્લિંગોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ, હિમાલયનું કેદારેશ્વર, માળવામાં આવેલ વિશ્વેશ્વર અને ઉજ્જૈન – મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વરનું મહત્વ શિવભક્તિમાં ભક્તોમાં વિશિષ્ટ માનવામાં આવે છે.

        ભગવાન મહાદેવ તો સર્વવ્યાપી છે. બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ પણ સાધના કરવા બેસે ત્યારે શિવલિંગ જેવા એક પત્થરને ત્રણ ફુટ દુર અને ત્રણ ફુટ ઊંચા સ્થાન પર રાખી તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇઝરાયેલ તથા યહુદીઓનાં અન્ય દેશોમાં પણ યહુદીઓ કોઇપણ સોગંદ લેતી વખતે તેમની રીતરસમ અનુસાર આવા એક પત્થરને માનપૂર્વક સ્પર્શીને જે તે સોગંધ લે છે. આ ઉપરાંત પ્રાચીન અને પ્રસિદ્ધ દેશ ઇજિપ્તનાં ફોનેશિયા નગરમાં, ઇરાનનાં સીરિયામાં, યૂનાનનાં સ્પેનમાં, જર્મની, સ્કેન્ડેનેવિયામાં, અમેરિકા, મેક્સિકો, સુમાત્રા, જાવા, સ્કોટલેન્ડનાં ગ્લાસગો, તુર્કિ, તાશ્કંદ, વેસ્ટ ઇન્ડીઝનાં ગિયાના, શ્રીલંકા, મોરેશિયસ, માડાગાસ્કર જેવા અનેકો દેશમાં પણ મહાદેવની પૂજા અર્ચના થાય છે.

        અનેક ધર્મોમાં મતભેદ વધવાને કારણે અન્ય દેશોમાં ભગવાન શિવની ભક્તિભાવમાં થોડી ઓટ આવી હોય એવું બની શકે પરંતુ જે સ્થળેથી શિવલિંગની પૂજાની શરૂઆત થઇ ને વિશ્વમાં પ્રસરી ગઇ એવા ભારતદેશનાં લોકોમાં આજેપણ ભગવાન ભોળાનાથ એટલા જ પૂજનીય અને અતિપ્રિય છે. શ્રી રામને રામેશ્વરમાં, કૃષ્ણને ગોપેશ્વરમાં અન્ય દેવતાઓને પણ તેઓ સર્વેનાં પરમપૂજ્ય ઇશ્વર શિવને દર્શાવવા માટે શિવલિંગની પૂજા કરતા બતાવ્યા છે. એમ કહી શકાય કે સૃષ્ટિનાં સર્વ આત્માઓનાં કોઇપણ ધર્મ યા સંપ્રદાયનાં એકમાત્ર પરમપ્રિય પરમપિતા પરમાત્મા ‘જ્યોતિબિંદુ લિંગસ્વરૂપ શિવ’ છે.

        મહાદેવ તો સંગીતનાં જન્મદાતા કહેવાય છે, સંગીતનાં ત્રણે ક્ષેત્ર એટલે કે વાદન, ગાયન અને નૃત્યમાં મહાદેવ દેવોનાં દેવ કહેવાય છે અને પુર્ણતઃ પણ. આ માટે વિદ્ધાન શબ્દ ઓછો પડે. અને આ લખવૈયાની જાણકારી અનુસાર રાગ માલકૌંસ ભગવાન શિવે બનાવ્યો છે, માટે તેમનાં ઘણાખરાં ભજનો આ જ રાગમાં હોય છે. એમાનું સૌથી પ્રચલિત એવું, ‘સતસૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ’ આ જ રાગ આધારીત છે. આ ટોપીક પર વધુ વાત ફરી ક્યારેક કરીશું, અત્યારે તો ભગવાન મહાદેવને પ્રસન્ન કરનારો મંત્ર અત્રે પ્રસ્તુત છે,

वंदे शंभुमुमापति सुरगुरूं, वंदे जगतकारणम्
वंदे पन्नगभुषणं च मृगधरं, वंदे पशुनांपतिम् ।
वंदे सूर्यशशांकवहिनयनम्, वंदे मुकुन्दम्प्रियम्
वंदे भक्तजनाश्रयं च वरदं, वंदे शिवंशंकरम् ॥


ૐ નમઃ શિવાય…

(અત્રે લખેલ વિચારો લેખકનાં પોતાના છે. કોઇ સંપ્રદાય કે ધર્મનું ઘસાતું બોલવાનો કે કહેવાનો કોઇ આશય નથી.)

Monday 17 February 2014

મનોબળ

Success is the journey from one failure to another without losing any type of enthusiasm.


मंझिल उन्ही को मिलती है, जिनके सपनों में जान होती है;
पंख से कुछ नहीं होता, हौसलो से उडान होती है ।

        મિત્રો, આ વિષય આમ તો ખુબ ચર્ચાઇ ગયેલો છે, મારા ગયા લેખમાં જે મેં ઉલ્લેખ કરેલો કે એકનાં એક વ્હાલસોયા જુવાનજોધ દિકરાનાં આકસ્મિક મૃત્યુથી ચિત્રાજી અચાનક સાવ ગુમસુમ થઇ ગયા અને એમ કહી શકાય કે પોતાનો અવાજ ખોઇ બેઠા. આવા પ્રચંડ આઘાતને પચાવી જનાર જગજિત સિંઘે પોતાનાં દર્દની દવા સંગીતમાં શોધી અને પ્રબળ મનોબળથી આવા અસહ્ય આઘાતને હસતા ચહેરે પચાવી ગયા. શું છે આ મનોબળ?

होंसले बुलंद कर, रास्तो पर चल दे,
तुझे तेरा मुकाम मील जायेगा,
अकेला तु पहेल कर,
काफिला खुद बन जायेगा,
मायुस हो कर न उम्मीदोका दामन छोड,
वरना खुदा नाराझ हो जायेगा,
ठोकरोंसे ना तु घबरा,
हर पडाव पर अपने आपको तु और मझबुत पायेगा,
नाकामयाबी की धूंध से ना घबराना,
कामयाबी का सूरज तेरी तकदीर रोशन कर जायेगा ।

        એક ફિલ્મનાં સીનથી સમજાવાની કોશીશ કરું. સાલી દુનિયા પણ ગોળ છે હોં! હરીફરીને મારા લેખોમાં ફિલ્મોનો ઉલ્લેખ તો આવે જ. કેમ ખરૂં ને! તો દોસ્તો ફિલ્મ છે ત્રિશુલ. હાં અમિતાભ બચ્ચનની ફિલ્મ, ત્રિશુલ. તમે સહુએ જોઇ હશે આ ફિલ્મ. સીન છે દિલ્હી જેવા મહાનગરમાં એક સફળ બિલ્ડરની ઓફિસ અને કલાકારો છે સંજીવકુમાર અને અમિતાભ બચ્ચન. તો સાહેબાન… સીન એવો છે કે આ બિલ્ડરને મળવા તેની ઓફિસમાં એક અજાણ્યો વ્યક્તિ આવે છે. આ બિલ્ડર એટલે સંજીવકુમાર અને અજાણી વ્યક્તિ એટલે અમિતાભ બચ્ચન. પરંતુ અતિવ્યસ્ત એવા આ બિલ્ડર પાસે તેને મળવાનો સમય ન હોય, સેક્રેટરીને તેને વળાવી દેવાની સુચના આપવામાં આવે છે. આ વાતની જાણ થતાં આ અજાણી વ્યક્તિ પેલી સેક્રેટરીને કહે છે કે મને પાંચ મીનીટ નહીં આપીને તમારા બોસે તેનું પાંચ લાખનું નુકસાન કર્યું છે. આ વાત પેલો બિલ્ડર સાંભળી જાય છે અને પેલી અજાણી વ્યક્તિને મળવા કેબીનમાં બોલાવે છે, અને એની એક પડતર જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં આ વ્યક્તિ સાથે કરે છે. આ જમીન પર એક માધોસિંઘ નામના ગુંડાએ ગેરકાયદેસર કબ્જો કરેલો હોય છે અને કોર્ટનો હુકમ હોવા છતાંયે આ બિલ્ડર આ જમીન ખાલી ન કરાવી શકતો હોય તેની માટે આ જમીનની કોઇ કિંમત હોતી નથી. આ બધું આ અમીતાભ જાણતો હોવાં છતાંયે સંજીવકુમાર સાથે આ જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં કરે છે.

        બીજા દિવસે અમિતાભ આ જમીન એકલે હાથે પેલા ગુંડાઓને લમધારીને ખાલી કરાવી નાંખે છે. આ વાત સંજીવકુમાર સુધી પણ પહોંચે જે શશી કપુર તેને કહે છે કે આ વિજય(અમિતાભ) ને વો જગાહ ખાલી કરવા દી. કમાલ કર દીયા. ત્યારે જવાબમાં સંજીવકુમાર તેને કહે છે જે ખરેખર સાંભળવા જેવી અને સમજવા જેવી છે. જેમાં પ્રચંડ મનોબળનું એક સુંદર ઉદાહરણ પણ મળે છે. સંજીવકુમાર કહે છે કે ‘કમાલ ઇસ બાત કા નહીં કી ઉસને વો જમીન ખાલી કરવા દી, કમાલ ઇસ બાત કા હૈ કી વો જાનતા થા કી વો યે કામ કર સકતા હૈ.’

        તો વાચકો, વ્યક્તિ પોતાનાં જીવનમાં જે કંઇ મહાન સિદ્ધિઓ કે સ્થાન પ્રાપ્ત કરે એ એના અદમ્ય સાહસ થકી જ મેળવે છે, પરંતુ કોઇપણ સફળતા પામ્યા પહેલાં પોતાનાં સાહસને, ક્ષમતાને બરાબર ઓળખવા એ મનોબળ છે.

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો…’

        ધીરૂભાઇ અંબાણી આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. કે કઇ રીતે વ્યક્તિ સાહસ અને મનોબળ થકી કઇ ઊંચાઇ સુધી પહોંચી શકે છે. શું હતું ધીરૂભાઇ પાસે જ્યારે એ એડનથી નાના મુકેશને અને કોકીલાબેનને લઇને મુંબઇ આવેલાં? અને આજે? ધીરૂભાઇનાં જીવનકવન પર આધારીત એવી ફિલ્મ ‘ગુરૂ’, ‘સપને મત દેખો, સપને કભી સચ નહીં હોતે. મેરા બાપુ કહેતા થા’. આ ફિલ્મનાં ક્લાઇમેક્સમાં એક સીન છે, જેમાં શક્તિ ઇન્ડસ્ટ્રીઝ પર વિવિધ પ્રકારની ટેક્સ ચોરી માટે કેસ થયા હોય છે અને સુનવાઇ માટે ગુરૂભાઇને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને તેને પાંચ મીનીટ આપવામાં આવે છે પોતાની પેરવી કરવા માટે અને ખુલાસાઓ આપવા માટે. ત્યારે છેલ્લે તે એક વાત કહે છે કે ‘આ કેસને કારણે મારે ઘણું બધું ખોવાનો વારો આવ્યો છે પરંતુ એક વસ્તુ તમે મારી પાસેથી ક્યારેય નહીં છીનવી શકો એ છે મારી હિંમત. એ હું ક્યારેય નહીં ગુમાવુ.’ આ છે મનોબળ. આ છે વિશ્વાસ પોતાની ક્ષમતાઓ પર પોતાની સાહસવૃત્તિ પર પોતાની હિંમત પર. આ હિંમત આવે માત્ર અને માત્ર મજબુત મનોબળને કારણે.

‘कौन कहेता है की आसमां में छेद नहीं हो सकता,
एक पत्थर तो तबियत से उछालो यारों…’

        મજબુત મનોબળ ચમત્કારો પણ કરી શકે છે. ગમે એવી અસાધ્ય બિમારીમાંથી કે ગમે એવા અશક્ય લાગતાં સંજોગોમાંથી પણ વ્યક્તિ ઊભો થઇ શકે છે, માત્ર પોતાનાં મનોબળની શક્તિને કારણે. આજે યુવરાજ સિંઘ અને અમિતાભ બચ્ચન આ વાતનું અતિયોગ્ય ઉદાહરણ છે આપણી સહુની સામે. યુવરાજ સિંઘ વિશે આપણે સહુ જાણીએ છીએ, તેને કેન્સર હતું. (ક્યારેક આ ‘ભૂતકાળ’ને પ્રયોજવો કેટલો સુખદ લાગે છે.) પોતાનાં આત્મવિશ્વાસ અને મજબુત મનોબળને કારણે જ આજે આ વ્યક્તિ આપણી સહુની વચ્ચે સહીસલામત અને પુર્ણતઃ રોગમુક્ત અવસ્થામાં છે. આજ રીતે ૧૯૯૫માં અમિતાભ બચ્ચને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડની સ્થાપના કરેલી અને આજે જે પદ્ધતિ પર પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તે પદ્ધતિ પર પોતાની કંપની સ્થાપેલી. કંપની પોતે નવા અને જુના સિદ્ધહસ્ત નિર્દેશકો પાસે ફિલ્મ અને સીરીયલ્સનું નિર્માણ કરવું અને વિતરણ કરવું. ખેર, શક્ય છે કે ૧૯૯૫માં આ વિચાર હજુ સમય પહેલાંનો હોઇ શકે. માટે કંપની ખાડે ગઇ અને બચ્ચનસાહેબ પર એ જમાનામાં રૂપિયા ૬૪ કરોડનું કરજ ચડી ગયું. હવે બે જ રસ્તા હતાં અમિતાભ પાસે. એક તો કરજની પાઇ પાઇ ચુકવી દેવી અને બીજો પોતાને અને કંપનીને નાદાર જાહેર કરીને આ કરજ ચુકવણીથી હાથ ખંખેરી નાંખવા. પરંતુ આ વ્યક્તિએ પહેલો રસ્તો જે ખરેખર ખુબ અઘરો અને તે સમયે તો અશક્ય પણ લાગતો હતો એ પસંદ કર્યો. ધીરે ધીરે, અને પ્રખર મહેનત અને પોતાની જાત પરનાં વિશ્વાસને આધારે અમિતાભે તમામે તમામ બેંકોની પાયેપાઇ વ્યાજ સાથે અને અમારા કાઠીયાવાડમાં કહેવાત છે એમ દુધે ધોઇને ચુકવી દીધી. પચાસી વટાવી ચુકેલી વ્યક્તિ એક નવા જ સાહસ અને મનોબળને સાથે લઇને આવા કપરા સંજોગો સાથે બાથ ભીડે એ લગભગ અશક્ય જેવી વાત ન હોય તો અઘરી તો કહી જ શકાય. આ બધું શક્ય બન્યું મજબુત મનોબળને કારણે.

        શારીરિક શક્તિ કરતાંયે મનની શક્તિ તો કંઇક ગણી અધિક છે. શરીર ભલે નીર્બળ હોય પણ મનોબળ મજબુત હોય તો વ્યક્તિ ગમે તે ઉંમરે અને ગમે તેવા વિપરીત સંજોગોમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. એક બીજી વાત પણ મહત્વની છે કે તમે જો નબળા મનનાં લોકો સાથે સંબંધ રાખશો તો આ લખવૈયાનાં એક લેખની જેમ તમારૂં પણ નેગેટીવ પ્રોગ્રામીંગ થશે અને છેવટે તમેય નબળા મનનાં થતા જશો. આપણે જો સાહસવીર વ્યક્તિનાં સંપર્કમાં રહીએ તો ધીરેધીરે આપણું મનોબળ પણ વિકસતું જશે અને દિનપ્રતિદિન દ્રઢ થતું જશે. આપણાં ગુજરાતીમાં કહેવત છે કે, ‘હિજડાની જાનમાં જ જવાય, મરદની મૈયતમાં જવાય’.

        મનોબળ એટલે સ્વસ્થતા, મનોબળ એટલે આત્મવિશ્વાસ, મનોબળ એટલે વિપરીત સંજોગો સામે લડવાની અને જીતવાની ક્ષમતા, મનોબળ એટલે પોતાનાં સોના જેવા શુદ્ધ અને ૨૪ કેરેટ ગોલ્ડ જેવા સામર્થ્ય પર પૂર્ણ ભરોસો.

        દ્રઢ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઇ પટેલ. તેમને લોખંડી પુરૂષનું ઉપનામ મળેલું. તેઓ કંઇ લોખંડનાં નહોતા બનેલા. પરંતુ આ ઉપનામ તેમને તેમનાં દ્રઢ અને લોખંડ જેવા મજબુત મનોબળને કારણે મળેલું. આઝાદીની લડાઇ હોય કે આઝાદી બાદનાં તમામ રજવાડાઓને અખંડ ભારતમાં વિલીન કરાવીની કપરી કામગીરી. સરદારે આ તમામ કાર્યો જે લગભગ અશક્ય લાગતાં હતાં તે શક્ય કરી બતાવ્યા, માત્ર પોતાનાં પ્રચંડ મનોબળથી.

        સંજોગ, હાલાત યાને પરિસ્થિતિ એ ચીજ છે કે જ્યાંથી મનોબળ પેદા થાય છે. મનમાંથી નીકળતી વિપરિત સંજોગો સામે લડવાની તાકાત એટલે મનોબળ. પણ દર વખતે મનમાંથી ઉદ્દભવતું એ મનોબળ કેમ અલગ અલગ હોય છે? વ્યક્તિ વ્યક્તિએ મનોબળની માત્રા અને તિવ્રતા કેમ બદલતી રહી છે? એનું કારણ પણ કદાચ ઠામ-ઠેકાણા વગર મનમાં રહેલું છે. મન પોતે જ અજાયબ ચીજ છે. શરીરમાં હ્રદય ક્યાં છે એ આપણે જાણીએ છીએ. શરીરની ભૂગોળમાં તમામ અંગોનાં સરનામાંથી આપણે ભલીભાંતી વાકેફ છીએ, પણ મન ક્યાં આવ્યું તેનું કોઇ સ્પષ્ટ ઠેકાણું નથી.
       
        આધુનિક તબીબી વિજ્ઞાન મનને ચેતાતંત્ર અને વિવિધ ચેતાઓ વચ્ચે સંવેદનોની આપ-લે દરમિયાન થતાં રાસાયણિક સ્ત્રાવ સાથે સાંકળે છે. આયુર્વેદનાં અભિપ્રાય મુજબ મનોબળ હકીકતે હ્રદયબળ છે. ચરકસંહિતા પણ એમ જ કહે છે કે, ‘चेतः चिन्त्यं ह्रदि संस्थितम्’. અર્થાત મનનું સ્થાન હ્રદયમાં છે.       
        ભારતીય દર્શનશાસ્ત્ર સાચે જ અદ્દભુત છે. અને અદ્દભુત છે તેમાં રજુ થતું માનસદર્શન. યજુર્વેદનું શિવસંકલ્પસૂક્ત મન વિશે કહે છે, ‘ज्योतिषां ज्योतिः’ અર્થાત, અનંતયાત્રા કરતો વિચારોનો શાશ્વત પ્રકાશ એટલે મન. મનનું શરીરમાં સ્થાન ક્યાં છે એ વિશે શિવસંકલ્પસૂક્ત પાસે જવાબ છે. ‘यज्ज्योतिरन्तुमृतं प्रजासु’ – એટલે કે વિચારનાં તેજઃ પૂંજમાંથી પ્રગટતી અમૃતમય જ્યોતિ જ્યાં સ્થિત રહે છે તે છે મન. દીવાની જ્યોતિ સતત ફરકતી રહે છે. વિચાર એ દીવાની જ્યોત જેવો છે. વિચાર ક્યારેય સ્થિર નથી અને માટે મનનું સ્થાન સ્થિર નથી. તો પછી મનોબળ શું છે?

        અન્ય બધા વિચારોને અતિક્રમીને, બાજુ પર હડસેલીને કલ્યાણકારી વિચારને જે બળ આપે છે તે છે મનોબળ. યજુર્વેદ વિચારને શક્તિ ગણાવે છે, અને શક્તિ અજન્મા છે એ તો આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે. શક્તિ ન તો જન્મે છે કે ન તો નાશ પામે છે તે ફક્ત રૂપાંતરિત થાય છે. માટે એક વિચારમાંથી બીજો વિચાર જન્મે છે, અને બીજામાંથી ત્રીજો એમ આ ચક્ર ચાલ્યા જ કરે છે.

        જ્યારે સંજોગો કે પરિસ્થિતિ આપણાં વશમાં ન હોય અને માત્ર અને માત્ર હવે તો યુદ્ધ એ જ કલ્યાણની જેમ લડી જ લેવું પડે એવી સ્થિતિ સર્જાણી હોય ત્યારે જે ઢીલાપોચા માણસને પણ લડી લેવાની શક્તિ આપનાર પણ મનોબળ જ છે. આ શક્તિ શારીરિક નહીં પરંતુ માનસિક છે. આવા બળકટ અને મજબુત વિચારને જ મનમાં આવવા દેવા હોય તો, હંમેશા! વિચારો પર આપણો કોઇ અંકુશ ખરો?

        તો જવાબ છે કે ના! આપણાં શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન પણ આ વાતમાં હામી ભરે છે કે કે વિચાર સ્વયંભૂ છે અને પ્રકૃતિગત છે. તેનું ભૌતિક અસ્તિત્વ કે સ્થૂળ બંધારણ નથી. મનોબળ તો વિચારમાંથી જન્મે છે અને વિચરનું સરનામું નથી, ચહેરો પણ નથી કે આકાર પણ નથી. મનોબળ કે વિચારતો વ્યક્તિની અંદર જ પ્રગટે છે આપબળે જ આવે છે. સંજોગો સામે લડી લેવાની હિંમત અને એ વિચાર જ મનોબળ છે. એક રક્ષણાત્મક પ્રતિક્રિયા. અઢળક વિચારોનાં તેજોમય ઝબકારા વચ્ચે તિવ્રતાથી ઉઠતો એક જોરદાર ભડકો મનોબળ છે. આ ભડકો આપોઆપ થાય છે અને તેનાં થવાનાં સમયે જ થાય છે.


        દ્રઢ મનોબળ મેળવા હકારાત્મક વિચારોનાં નિર્માતા બનો, સર્જક બનો. સફળતા આપોઆપ તમારા દ્વારે ઊભી રહેશે. Whatever the mind of human being conceive and believe, it can achieve. 

Wednesday 12 February 2014

રૂહાની સંગીત અને અવાજનો પર્યાય સમ ગઝલજીત સિંઘ…


सारा आलम गौश-बर-आवाझ है, आज किन हाथोंमें दिल का साझ है;
छुप गया वो साझ-ए-हस्ती छोड कर, अब तो बस आवाझ ही आवाझ है ।


रहने को दहरमें सदा आता नहीं कोई,
तुम जैसे गए, वैसे भी जाता नहीं कोई;

        મિત્રો, ગઝલજીત સિંઘ એટલે પદ્મભૂષણ જગજિત સિંઘ. જે ગઝલ ગાયકીનો પર્યાય હતાં. વિખ્યાત કવિ અને સદ્દગત્ જગજિત સિંઘનાં ખુબ નજીકનાં મિત્રો પૈકીનાં એક એવા ગીતકાર ગુલઝારનાં શબ્દોમાં કહું તો ‘જ્યારે જગજિત ગાય છે ત્યારે ગઝલોનાં શબ્દોને એક નવો જ અર્થ મળે છે અને તે શબ્દોનાં ઊંડાણને વધારે છે.’ કેટલી ખરી અને સચોટ વાત છે. જગજિત સિંઘ એક એવા ગાયક હતાં કે જેઓ તર્જ કરતાં શબ્દો પર વધુ વજન મુકતા. જે ગઝલ કે શેર તેઓ પસંદ કરતાં તેમની અદાઇગી અને પેશ કરવાની ગાવાની શૈલી જ એટલી અલગ હતી કે આફરીન પોકારી ઉઠીએ. ક્યા શબ્દ પર કેટલું વજન મુકવું અને કઇ રીતે મુકવું તે જ જગજિત સિંઘનો મેઇન પોઇંટ હતો. (USP). માટે જગજિત સિંઘની ગાયકીને સુરપ્રધાન ને બદલે બોલપ્રધાન કહેવામાં આવતી. એક જ શબ્દને કે શેરને તેઓ એટલા અલગ અલગ અંદાજમાં પેશ કરતાં કે શ્રોતાઓ ડોલી ઉઠતા. ગઝલ એક ગંભીર વિષય છે. તેની પેશકશ પણ ગંભીરતાથી થવી જોઇએ એવો સામાન્ય શ્રોતાઓમાં સમજ હતી. હાર્મોનિયમ, તબલા બે મુખ્ય સાઝ હતાં ગઝલગાયકોનાં.



गुंजते है तेरे नग्मों से अमीरों के महल, जोंपडोमें गरीबो के भी तेरी आवाझ है;
अपनी मौसिकी पे सबको फक्र होता है, जगजित, आज मौसिकीको तुज पे नाझ है ।

        પરંતુ જગજિત સિંઘે આ નિયમને પોતાની રીતે અજમાવ્યો. તેમની ગઝલોમાં આપણે સીંથેસાઇઝર, ઓક્ટોપેડ, ગીટાર અને વાયોલિન ની સાથો સાથ હિન્દુસ્તાની લોકવાદ્ય એવા ડફ અને ઢોલ પણ સાંભળી શકીયે છીએ. ગઝલનો ચહેરો, તેની પેશકશ અને તેનો અંદાઝને સંપૂર્ણપણે બદલ્યો. જે ગઝલને એક સમયે થોડા બુધ્ધિજીવી અને ચોખલીયા લોકો વચ્ચે અને માત્ર મહેફીલમાં ગાઇ શકાય તેમ હતી તેને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર અને લોકરંજન, મનોરંજન માટે અને સામાન્ય લોકો પણ જેને સાંભળી શકે માણી શકે અને સમજી પણ શકે એ સ્તર એ દરજ્જો આ વ્યક્તિએ અપાવ્યો. જે ગઝલ માત્ર હાર્મોનિયમ, તબલાં અને ઢોલક વચ્ચે અટવાતી હતી તેને સિંથેસાઇઝર, ગીટાર અને ઓક્ટોપેડ પર જગજિત સિંઘ લઇ આવ્યા. તેમનાં હજારો કોન્સર્ટમાં આપણે જોઇ શકીયે છીએ કે સ્ટેજ પર હાર્મોનિયમની સાથે સિંથેસાઇઝર પણ હોય, ઢોલક અને તબલાં સાથે, ઓક્ટોપેડ અને ડફ પણ હોય. સંતુર અને સીતાર સાથે સાથે ગીટાર અને વાયોલિન પણ હોય. બાંસુરી પણ હોય અને ક્લેરોનેટ પણ હોય. માટે જ એક સામાન્ય માણસ સુધી જગજીત સિંઘ પોતાની અવાઝ અને ખાસ તો ગઝલને પહોચાડી શક્યા.

        જગજિત સિંઘે ગાયેલી કોઇપણ એવી ગઝલ સાંભળી લો કે જે ગઝલ તેનાં સમકાલીન ગાયકોએ પણ ગાઇ હોય. મિત્રો, ઊભા અને આડા પણ જમ્બો જેટ જેટલો ફર્ક સંભળાશે અને અનૂભવાશે પણ. આ વાત શક્ય છે કે જગજિત સિંઘ પ્રત્યેનાં મારા અહોભાવ અને લાગણીથી તરબતર મારી આ વાત પક્ષપાતી લાગશે. પણ માનો કે ન માનો ઠાકુર યહી સચ હૈ…!

अभी नग्मों की सरगम फिझांओमें है, अभी सांसोकी खूश्बू हवांओमें है;
अभी साझोंपे है उंगलीयों के निशां, तुम अभी थे यहीं, तुम अभी थे यहीं…

અને આખરે…
सारा जग जीत के ले गया,
जग छोड के जानेवाला…

        હાઝરીન, જગજિત સિંઘ જેવી વ્યક્તિ અને તેમનાં બહુઆયામી વ્યક્તિત્વ વિશે લેખ શરૂ કરતાં પહેલાં જરા યે શેર પેશ-એ-ખિદમત હૈ…

उसकी तक्मील और कौन करें,
जिस फसाने की तुजसे है तम्हीद…

        જગજિતસિંઘનું સાચુ નામ જગમોહન સીંઘ હતું. એક ધાર્મિક શીખ કુટુંબનાં નબીરા એવા જગમોહનનો જન્મ ૮મી ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ રાજસ્થાનનાં શ્રીગંગાપુરમાં થયેલો. જગમોહનનાં માતા-પિતા ધાર્મિકવૃત્તિવાળા હોય તેમનાં એક સીખ ગુરુસાહેબે તેમને જગમોહનનું નામ જગજિત કરો તેવું સુચન કર્યું અને ત્યારથી જ આજીવન જગમોહન સિઘ અમરજીત સિંઘ ધીમાન, જગજિત સિંઘ ધીમાન બની ગયા. જગજિતનું શરૂઆતનું શિક્ષણ તેમનાં જ શહેરની ખાલસા સ્કુલમાં થયું અને આગળની હાઇસ્કુલનું શિક્ષણ શ્રીગંગાપુર હાઇસ્કુલ અને ગવર્મેન્ટ કોલેજમાં થયું. તેમણે તેમની આર્ટ્સ ફેકલ્ટીની સ્નાતકની ડિગ્રી ડીએવી કોલેજ - જલંધરમાંથી મેળવી. ત્યારબાદ ઇતિહાસમાં અનુસ્નાતક થયા કુરૂક્ષેત્ર યુનિવર્સીટી – હરીયાણાથી. જગજિતનાં પિતાની એવી ઇચ્છા હતી કે તેમનો પુત્ર મોટો થઇને IAS ઓફિસર કે પછી મોટો અમલદાર બને. અહીં પણ જગજિત સિંઘની ગાયકી તો શરૂ જ હતી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં અને કોલેજ ફેસ્ટીવલ્સમાં કે પછી યુથ ફેસ્ટીવલમાં પણ જગજિત સિંઘ પોતાની ગાયકી પેશ કરતાં અને ત્યારે પણ લોકોની વાહવાહી અને તાળીઓ મેળવતાં.


        જગજિતમાં નાનપણથી જ સંગીતની સૂઝ હતી આ વાતનો અંદાજ તેમનાં પિતાજીને આવી જ ગયેલો. માટે તેઓ નાના જગજિતને ગુરૂદ્વારામાં ભજનો સાંભળવા અને ક્યારેક ગાવા મોકલતા અને આમ નાનકડા જગજિતની સમજ અને ગળું કેળવાતું ગયું. આ અણસારનાં આધારે જ સરદાર અમર સિંઘે જગજિતને પંડિત છગનલાલ શર્મા પાસે વિધીવત શાસ્ત્રિય ગાયકીની તાલીમ અપાવવાનું શરૂ કર્યું. પંડિત શર્મા પાસે પુરા બે વર્ષની સઘન તાલીમ બાદ જગજિત સિંઘે ઉસ્તાદ જમાલ ખાં પાસે સંગીતની તાલીમ લગલગાટ છ વર્ષ લીધી. જેમાં તેઓ ખયાલ, ઠુમરી અને ધ્રુપદ ગાયકી સીખ્યા. ખાં સાહેબ સેનિયા ઘરાનાનાં ગાયક હતાં. જે વિખ્યાત મિયાં તાનસેનનાં વંશજો તરીકે ઓળખાતા. જગજિતે પોતાની રીતે પણ ખુબ મહેનત કરી અને ઉસ્તાદોની શીખને, તાલીમને સાર્થક કરી બતાવી. જગજિત સિંઘ હંમેશા રીયાઝને ખુબ મહત્વ આપતાં. તેમની ગાયકી પર ઉસ્તાદ આમિર ખાં સાહેબની અસર ખુબ દેખાય છે અને અનુભવાય છે. કારણ કે ઉસ્તાદ આમિર્ ખાં સાહેબ અને ત્યાર બાદ જગજિત સિંઘે ગાયકીને શાસ્ત્રિય ગાયકીને ભાવપ્રદ બનાવવા સુરપ્રધાન ને બદલે બોલપ્રધાન બનાવી.


        કોલેજનાં શિક્ષણ દરમ્યાન જગજિત સિંઘે જલંધર ઓલ ઇન્ડિયા રેડિયો પર અને સ્ટેજ પર પરફોર્મ કર્યું અને આમ આવા કેટલાક કાર્યક્રમો દ્વારા તેઓ એ સમયનાં કેટલાક ખ્યાતનામ સંગીતકારોનાં સંપર્કમાં આવ્યા. પંજાબ યુનિવર્સિટી અને કુરુક્ષેત્ર યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સલર પ્રોફેસર સુરજ ભાણે જગજિત સિંઘમાં રહેલી ક્ષમતાઓને પુરૂ અને ખુલ્લું આકાશ મળી રહે એ માટે તેમને મુંબઇ જઇને સંગીતમાં કારકિર્દી બનાવે તેવું સુચન કર્યું. આ સમય દરમિયાન જગજિત સિંઘને એક વાતની પ્રતિતિ અવશ્ય થઇ ગયેલી કે તેમની મંઝીલ સ્નાતક કે અનુસ્નાતક બનીને પુરી જીંદગી સરકારી નોકરીમાં વેડફી નાંખવાની નથી પરંતુ પોતે મેળવેલી સઘન તાલીમનાં સહારે એક આલા દરજ્જાનાં ગાયક તરીકે જાતને ઓળખાવાની છે. આ મંઝીલ મેળવવા હેતુ જ ૨૪ વર્ષનાં ગભરૂ સીખ યુવાન જગજિત સિંઘે સપનાની નગરી એવી મુંબઇની રુખ લીધી. ઘરમાં કોઇને કહ્યા વગર જગજિત સિંઘ ૧૯૬૫માં મુંબઇ આવતાં રહ્યા. અહીંથી શરૂ થયો એમનો સંઘર્ષનો સમય…
  

        મુંબઇ આવીને જગજિતે સૌથી પહેલું કામ પોતાનાં ધર્મમાં જે મનાઇ છે એ કામ જ કર્યું. સીખ ધર્મ મુજબ સીખ પોતાનાં કેશ આજીવન ઉતારે નહીં. એટલે કે હજામત ન કરાવે. પરંતુ પંજાબી એવા જગજિતે પોતાની દાઢી, મુંછ અને અંબોડીને કઢાવીને ક્લીનશેવ ચહેરો અને વ્યવસ્થિત વાળ ઓળેલા ચહેરે ફરવા લાગ્યા. ધીરેધીરે કામ મળવા લાગતા જગજિતે જાહેરાતોનાં જિંગલ્સ ગાવાનું શરુ કર્યું. સંઘર્ષનાં કપરાં દિવસોમાં જગજિત સિંઘ જેવા ગાયકે પાર્ટીઓમાં અને લગ્ન સમારંભોમાં પણ ગાવાનું શરૂ કર્યું. તેમને સૌથી પહેલો બ્રેક એક ગુજરાતી પ્રોડ્યુસર એવા સુરેશ અમીને આપેલો. જે એ સમયે ધરતીનાં છોરૂં ફિલ્મ બનાવતાં હતાં. આ ફિલ્મ બાદ ૧૯૬૬માં ‘બહુરૂપી’ નામની ફિલ્મમાં પણ તેમણે પ્લેબેક કર્યું. ગીત હતું, ‘લાગી રામ મજનની લગની’. આજ સંઘર્ષનાં દિવસો દરમ્યાન યુવાન જગજિતની મુલાકાત એક જીંગલ્સનાં રેકોર્ડીંગમાં ચિત્રા સાથે થઇ.


        ચિત્રાજી જન્મે એક બંગાળી છે. પ્રિય વાચકો, તમને જાણીને નવાઇ ચોક્કસ લાગશે કે ચિત્રાજીએ સંગીતની કોઇપણ પ્રકારની મુળભૂત તાલીમ લીધી નથી. તે મારી તમારી જેમ કાનસેન છે. તેઓનાં માતા જે સંગીત ગુરૂ પાસે સંગીતની તાલીમ લેતાં હતાં તે જોઇ જોઇને જ ચિત્રાજીમાં સંગીત વિકસ્યું. પછી તો ચિત્રાજીનાં લગ્ન થઇ ગયા અને પતિનાં વ્યવસાયને કારણે તેઓ કલકત્તા છોડીને મુંબઇમાં વસ્યા. તેમનાં પતિ શ્રીમાન દત્તાને એક રેકોર્ડીંગ સ્ટુડિયો હતો, જે તેઓ તેમનાં ઘરમાં જ ચલાવતાં હતાં. ચિત્રાજી પણ એક સારા ગાયીકા હોવાને કારણે પતિદેવને મળતાં જીંગલ્સ ગાતા. આ દંપતિને એક મીઠડી દીકરી પણ હતી, મોનિકા.

        જગજિત સિંઘ સાથે તેમની મુલાકાત પણ એક જીંગલ્સનાં રેકોર્ડીંગ દરમ્યાન થઇ. જગજિતજી તેમનાં ઘરે એક જીંગલનાં રેકોર્ડીંગ અર્થે આવેલા. બસ, આ મુલાકાત આગળ જતાં પ્રેમ અને છેવટે પ્રથમ પતિને છુટાછેડા આપી ચિત્રા – જગજિત ડિસેમ્બર ૧૯૬૯માં પરિણયનાં મંગળસૂત્રે બંધાયા. આ પરિણયની ફલશ્રુતિ આ બંનેનાં ઘરે પુત્ર વિવેક થયો. જે જુલાઇ ૧૯૯૦માં એક કાર અકસ્માતમાં અચાનક મૃત્યુ પામ્યો અને આ આઘાતને કારણે ચિત્રાજીએ અચાનક ગાવાનું બંધ કરી દીધું. જ્યારે જગજિત સિંઘે આ આઘાતને પચાવવા અને સહેવા સંગીતનો જ સહારો લીધો. આ દંપતિએ પોતાનું એક આલ્બમ ‘સમવન સમવ્હેર’ વિવેક સિંઘ, એમના પુત્રને સમર્પિત કર્યું છે. જગજિતનાં મતે સંગીતે તેમને આ આઘાત સહન કરવાની દવાની જેમ શક્તિ આપી.


        ખેર, આ બંને સંગીતવિભૂતિએ સંગ-સંગ સંગત કરી સંગીતબદ્ધ કર્યું અને ૧૯૭૬માં પોતાનું પ્રથમ આલ્બમ રીલીઝ કર્યું, ‘ધી અનફરગોટેબલ’…એટલે કે અવિસ્મરણીય. આ આલ્બમનાં ‘બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી’, ‘આહિસ્તા-આહિસ્તા’, ‘દર્દ બઢકર’ જેવી ગઝલો અને નઝ્મો લોકજીભે ગણગણાવા લાગી અને આ પહેલાં જ આલ્બમથી જગજિત સિંઘે જગ જીતી લીધું. આ આલ્બમની ગઝલ જે ખુબ લોકપ્રિય થઇ તે ‘બાત નીકલેગી’ પહેલા જગજિત સિંઘે ૧૯૬૫-૬૬ માં ભુપિન્દર સિંઘ પાસે ગવડાવેલી અને પોતે સંગીતબદ્ધ કરેલી. સંજોગોવશાત તે આલ્બમ ન બની શક્યું. ત્યારબાદ આ નઝ્મ એક ફિલ્મ ‘શા`શા’ માટે ફરી રેકોર્ડ કરવામાં આવી. આ ફિલ્મ પણ કોઇ કારણોસર રીલીઝ ન થઇ શકી. ત્યારબાદ વર્ષો બાદ જ્યારે HMV કંપની એ આલ્બમ બનાવવાની ઓફર કરી ત્યારે સૌપ્રથમ આ નઝ્મ રેકોર્ડ કરાઇ. આમ, આ નઝ્મ પણ જગજિત સિંઘનાં સંઘર્ષની સાથી બની રહી.


        આ આલ્બમ હકીકતે આજદિન સુધી ગઝલનાં ચાહકોમાં નામ માફક અવિસ્મરણીય જ રહ્યું છે. બસ પછી તો એક પછી એક આલ્બમ આપીને તેઓ એક પછી એક ‘માઇલસ્ટોન’ વટાવતા ગયા. ગઝલનો ચહેરો, તેની પેશકશ અને તેનો અંદાઝને સંપૂર્ણપણે બદલ્યો. જે ગઝલને એક સમયે થોડા બુધ્ધિજીવી અને ચોખલીયા લોકો વચ્ચે અને માત્ર મહેફીલમાં ગાઇ શકાય તેમ હતી તેને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર અને લોકરંજન અને સામાન્ય લોકો પણ જેને સાંભળી શકે માણી શકે અને સમજી પણ શકે એ સ્તર એ દરજ્જો આ વ્યક્તિએ અપાવ્યો. જે ગઝલ માત્ર હાર્મોનિયમ, તબલાં અને ઢોલક વચ્ચે અટવાતી હતી તેને સિંથેસાઇઝર, ગીટાર અને ઓક્ટોપેડ પર જગજિત સિંઘ લઇ આવ્યા. તેમનાં હજારો કોન્સર્ટમાં આપણે જોઇ શકીયે છીએ કે સ્ટેજ પર હાર્મોનિયમની સાથે સિંથેસાઇઝર પણ હોય, ઢોલક અને તબલાં સાથે, ઓક્ટોપેડ અને ડફ પણ હોય. સંતુર અને સીતાર સાથે સાથે ગીટાર અને વાયોલિન પણ હોય. બાંસુરી પણ હોય અને ક્લેરોનેટ પણ હોય. માટે જ એક સામાન્ય માણસ સુધી જગજીત સિંઘ પોતાની અવાઝ અને ખાસ તો ગઝલને પહોચાડી શક્યા. જગજીત સિંઘને સાંભળીયે ત્યારે તેની અવાજ આપણાં આત્મા સુધી પહોંચે છે. જગજીત સિંઘ એક બહુઆયામી ગાયક હતાં. તેમણે, ગઝલની સાથોસાથ, ભક્તિગીતો, ભજનો અને લોકગીતો પણ ગાયા.

        જગજીત સિંઘ આજનાં ઘણા પ્રતિભાશાળી ગાયકોની કારકિર્દીમાં પાયાનો પથ્થર બની રહ્યા હતાં. એક ગુરૂ, ભાઇ કે પિતાને છાજે તે દરજ્જાથી આ તમામ અને બીજા કેટલાય ગાયકોની શ્રેષ્ઠ અને ઝળહળતી કારકિર્દીનું પ્રથમ ડગલું તેમણે પોતાનાં હાથથી ભરાવેલું. આમાંનાં થોડાક નામો, સુધા મલ્હોત્રા, સુખવિન્દર સિંઘ, ઘનશ્યામ વાસવાની, વિનોદ સહેગલ, સીમા શર્મા, અશોક ખોસલા, દિલરાજ કૌર, ઇલા અરૂણ, હરિહરન, કુમાર સાનુ, તલત અઝિઝ, અભિજીત, જસવિંદર નરૂલા… જેવા કંઇ કેટલાય દોસ્તો…!

        આવી જ રીતે આ ગઝલદંપતિએ માત્ર આપણાં દેશમાં જ નહીં, બલ્કે પુરા વિશ્વમાં ગઝલને લોકપ્રિય બનાવી છે. પુરા વિશ્વમાં ઠેર ઠેર શોઝ અને કોન્સર્ટ્સથી ગઝલને આંતરરાષ્ટ્રિય સ્વરૂપ આપ્યું. જગજીત-ચિત્રાનાં ચાહકો દુનિયાનાં તમામ ખુણામાં મળી રહેશે, એ પછી  અમેરિકા હોય, કેનેડા હોય, બ્રિટન, કે પછી પાકિસ્તાન, સિંગાપોર, કેન્યા, દક્ષિણ આફ્રિકા, દુબઇ, કુવૈત, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યુઝીલેન્ડ હોય તમામ દેશોમાં અને દુનિયાનાં તમામ ખંડો અને ૪૦ થી વધુ દેશોમાં જગજીત-ચિત્રાએ લોકોને ગઝલ પાછળ દિવાના બનાવ્યા છે.

        લતા મંગેશકર સાથે ગાવાનું ખુબ જુનુ સપનું જગજીત સિંઘનું ‘સજદા’ સ્વરૂપે પુરૂ થયું. આ આલ્બમ પહેલી વખત એક સેટ સ્વરૂપે ૧૯૯૧-૯૨માં બહાર પડ્યું. લતા મંગેશકરની જેમ જગજીત સિંઘ ગુલઝાર, નિદા ફાઝલી, જાવેદ અખ્તર, અટલ બિહારી બાજપેયી સહિત કેટલાય નામી ગીરામી શાયરો અને કવિઓ સાથે કામ કર્યું છે અને તેમનાં શબ્દોને અવાઝ આપી અમર બનાવ્યા છે.

        એક ઔર વાત જગજીત સિંઘ વિશે જે ખુબ ઓછા લોકો જાણે કે તેમને ઘોડાનો ખુબ શોખ હતો. આ શોખને પુરો કરવા તેમણે એક બા-કાયદા ઘોડાઓનું ફાર્મ બનાવેલું અને જ્યારે સમય મળતો તે ત્યાં પહોંચી જતાં. તેમનાં ફાર્મનાં ઘોડાઓ ડર્બી રેસ પણ જીતી ચુકેલા છે.

        કંઇ કેટલાયે એવોર્ડ અને પારિતોષિક વિજેતા જગજીત સિંઘને એવોર્ડ મળે એ જે તે એવોર્ડનું સન્માન સમું કહેવાય. એવા આ કલાકારને ભારત સરકારે ૨૦૦૩માં ‘પદ્મભૂષણ’ થી સન્માનિત કર્યા છે.

        આ ગઝલ ગાયકીનો પર્યાય એવા મારા અને આપણા સહુનાં પ્રિય જગજીત સિંઘ ૧૦મી ઓક્ટોબરે આ ફાની દુનિયા છોડી. ઇશ્વરને કે ભગવાનને સ્વર્ગમાં કોન્સર્ટનું આયોજન કર્યું હશે તો તેમાં શિરકત કરવા પોતાની પાસે બોલાવી લીધા.

        જગજીત સિંઘ વિશે તો લખવા બેસીયે તો હજુ કેટલાયે પાના ભરાઇ જાય એમ છે. આ તો તેમની આછેરી ઝલક આપી. ક્યારેક પુરી લેખમાળામાં જગજિત સિંઘની ખુબ ખુબ વાતો કરીશું અને તેનાં જીવનનાં એવનવા પાસા અને રંગ પર પેટભરીને (સોરી પાનાભરીને) વાતો કરીશું. આજે આટલું જ.

૮મી ફેબ્રુઆરીએ તેમનાં જન્મદિન પર જગજીત સિંઘને અને જગજીત સિંઘથી મને પરિચીત કરાવનાર મારા પરમમિત્ર દેવદત્તને સમર્પિત લેખ…


सुनते है मिल जाती है हर चीज दुआ से;
एक रोझ तुम्हे मांग के देखेंगे, खुदा से…

આડવાતઃ દેવદત્તની ઘરે રોડ પર પડતી બારી પર તેનું નેશનલ કંપનીનું ઇક્વીલાઇઝર ધરાવતું ટેપ મુકીને તેની સામેજ હિંચકા પર ડાબો પગ જમણા પગ નીચે કરી એક પગે હિંચકાને ધક્કો મારતાં જગજિત સિંઘનાં રૂહાની અવાજ સાથે અમારા આત્માને એકાકાર કરતાં. ઉર્દુની થોડી ઘણી સમજ જે મને છે તે પણ પહેલા જગજિત સિંઘની ગઝલોને કારણે અને બીજા દેવને કારણે…


થેંક્યુ દોસ્ત… 

Wednesday 5 February 2014

ભારત રત્ન :-


ગઇકાલે આપણે સૌ એક ઐતીહાસિક ઘટનાનાં સાક્ષી બન્યા. જે હતી ભારતનાં રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીનાં શુભહસ્તે જીવંત દંતકથા સમાન આપણાં ચહીતા અને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચીન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ પ્રદાન થયો તે ક્ષણ.

       
        સચીનને ભારત રત્ન એવોર્ડ માટે હક્કદાર ગણવો કે નહીં તે માટે ચડસા ચડસી અને વાતો અને ચર્ચાઓ તો મહીનાઓથી ચાલતી રહેલી. જો કે ભારત સરકારે સચીનની નિવૃત્તિનાં દિવસે જ અનઔપચારિક રીતે તો આ વાતની જાહેરાત કરી જ દીધેલી કે આ વર્ષે સચીન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

        ભારત રત્ન એવોર્ડ આપણાં દેશનું સર્વોચ્ચ સમ્માન છે. ભારત રત્ન એવોર્ડનાં હક્કાદાર બનવા માટે માત્ર કોઇપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કે અતિશ્રેષ્ઠ કરનારને કે પ્રદાન કરનારને પ્રધાનમંત્રીએ કરેલી રાષ્ટ્રપતિને ભલામણ બાદ આપવામાં આવે છે. ૨૦૧૧ સુધી આ એવોર્ડ માત્ર સાહિત્યિક કે કલા કે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં જ નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવતો. ત્યારબાદ સરકારે આ એવોર્ડનાં માપદંડમાં થોડો ફેરફાર કર્યો અને આ માપદંડોમાં રમત-ગમતનું ક્ષેત્ર પણ ઉમેરવામાં આવ્યું. એમ તો આ સન્માનનાં માપદંડોમાં આ સન્માન અગાઉ મરણોપરાંત પણ આપવામાં આવતું નહોતું. પરંતુ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને આ સન્માનથી સમ્માનિત કરવાનાં હેતુસહ આ માપદંડોમાં ફેરફાર કરી મરણોપરાંત શાસ્ત્રીજીને ‘ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા.  આ એવોર્ડ માટેનાં યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિની યાદી પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને મોકલે તે નામોમાંથી રાષ્ટ્રપતિ કોઇ ત્રણ નામ નક્કી કરે અને તેને આ સન્માનથી નવાજવામાં આવે. આ સાથોસાથ ભારત રત્ન એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને જ આપવામાં આવે તેવો નિયમ છે. આ એવોર્ડ દર વર્ષે યોજાય જ એ જરૂરી નથી.

        આ એવોર્ડ કોઇપણ જાતિ, ધર્મ, લિંગ કે હોદ્દાથી પર છે. આ સન્માન મેળવનાર વ્યક્તિ આપણાં દેશમાં સાતમા સ્થાન પર બિરાજે છે. પ્રથમથી લઇને છ સ્થાન સુધી અનુક્રમે, રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તમામ રાજ્યોનાં ગવર્નર, ભૂતપુર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપ-વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ અને લોકસભાનાં સ્પિકર, અને ત્યારબાદ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિનું સ્થાન આપણાં સંવિધાન પ્રમાણે દેશનાં ગણમાન્ય વ્યક્તિ તરીકે નવાજવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર વ્યક્તિનું સ્થાન અને હોદ્દો કેબીનેટ મિનિસ્ટર્સ, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, તમામ ભૂતપુર્વ વડાપ્રધાનો, વિરોધ પક્ષનાં નેતા સમકક્ષ ગણવામાં આવે છે.

        હાં! આપણાં સંવિધાનનાં આર્ટીકલ ૧૮(૧) મુજબ ‘ભારત રત્ન’થી સમ્માનિત વ્યક્તિ પોતાનાં નામ ની આગળ કે પાછળ આ સન્માનને લખી નથી શકતાં. ઉદા. સચીન તેંડુલકર પોતાના નામની આગળ કે પાછળ ‘ભારત રત્ન સચીન તેંડુલકર’ કે ‘સચીન તેંડુલકર – ભારત રત્ન’ એમ ન લખી શકે. હાં આ વ્યક્તિ પોતાનાં લેટરપેડ કે બાયોડેટા કે પછી પોતાનાં વિઝીટીંગ કાર્ડ પર જરુર આટલું છપાવી શકે છે. ‘સચીન તેંડુલકર – રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન તરીકે સમ્માનિત’ અથવા ‘સચીન તેંડુલકર – ભારત રત્ન એવોર્ડ મેળવનાર’.

        આ એવોર્ડની શરૂઆત ૧૯૫૪માં થઇને અત્યાર સુધીમાં ૪૩ લોકોને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. (આ યાદી લેખનાં અંતમાં આપવામાં આવી છે.) આ એવોર્ડ માત્ર ભારતિયોને જ મળી શકે છે. પરંતુ આપણાં દેશે આ માપદંડમાં પણ જરૂરિયાત મુજબ ફેરફારો કરીને, ૧૯૮૦માં ‘મધર મેરી ટરૅસા બોજાક્ષીહ્યુ’ (મધર ટેરેસા)ને, ૧૯૮૭માં આઝાદી પછી પાકિસ્તાનમાં જઇ વસેલા ‘સરહદનાં ગાંધી’ એવા ખાન અબ્દુલ ગફાર ખાનને અને ૧૯૯૦માં દક્ષિણ આફ્રિકાનાં ગાંધી અને શાંતિદુત એવા રાષ્ટ્રપતિ ‘ડૉ. નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા’ ને પણ ભારતિય ન હોવાં છતાંયે ભારત રત્ન એટલે કે ભારત દેશનાં રત્નો તરીકે આ એવોર્ડથી નવાજવામાં આવેલાં. માન્યું કે આ ત્રણેય વિભૂતિઓ આ સન્માનને લાયક હતી પરંતુ આ સમ્માન ભારતિયોને જ મળવું જોઇએ એવું કે ભારતદેશનાં નાગરિકને જ મળવું જોઇએ આ એક મુળભૂત લાયકાત આ સન્માન યોગ્ય વ્યક્તિમાં હોવી જોઇએ એવું આપણું સંવિધાન કહે છે. પરંતુ આપણા નેતાઓ ક્યાં કોઇ સંવિધાન કે કોઇ નિયમોમાં માને છે ખરાં! એમને મનતો આ બધો સગવડીયો ધર્મ છે. જૈસે બીન પૈંદે કે લોટે. હમસે મીલે તો હમસે સોદા કર લીયા, ઉનસે મીલે તો ઉન્હે સોદા બેચ દીયા. આ કારણોસર જ આવો સર્વોચ્ચ સમ્માનિય પુરસ્કાર પણ ઘણીવાર ગંદા અને ગંધાતા રાજકારણનો ભોગ બનીને થોડો ખરડાયો છે. વારંવાર આ પુરસ્કારની યોગ્યતા અને એનાં માપદંડો પર શંકાની સોય ઉઠી છે.

        બીજું તો જવા દો, ભૂતકાળને પણ ન ઉખેળીએ તો પણ, સચીનને ભારત રત્ન એવોર્ડ આપવો જ, જોઇએ, આ વાત પણ હાલની સરકારની નિતી પર આંગળી ઉઠાવવા મજબુર કરે એવી છે. કારણ કે દેશની તમામ નાનીમોટી રાજકીય પાર્ટીએ આ નામોની ઘોષણા બાદ મેલું રાજકારણ રમવાનું શરુ જ કરી દીધેલું ને. આપણે ક્યાં નથી જાણતાં. કોઇક અટલ બીહારી બાજપેયીને આ એવોર્ડ માટે યોગ્ય કહે તો કોઇ એમ કહે કે મેજર ધ્યાનચંદ સચીન કરતાં વધુ યોગ્ય છે તો કોઇ વળી પોતપોતાનાં રાજકિય વડાને યોગ્ય ગણે. હદ તો ત્યારે થાય કે ૧૦માં ધોરણ પાસ છે એવા સર્ટીફિકેટને પણ યોગ્ય ન હોય એવા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળવો જોઇએ એવી હો હા થાય ત્યારે સમજવું કે ‘ઇશ્વરને ધરતી પર અવતાર લેવાની ક્ષણ આવી પહોંચી છે’. નૈતિકતાનું સંપુર્ણ રીતે અધઃપતન થયું છે ત્યારે આ લોકો પાસેથી બીજી શું આશા રાખી શકાય.

        ખેર! વાત બીજે પાટે ચડી ગઇ. પરંતુ એક નાગરિક તરીકે દુઃખ થાય આ બધું સાંભળીને જોઇને. પરંતુ આ બધા વાદ-વિવાદો, નિમ્ન કે અતિનિમ્ન કક્ષાનાં નિવેદનો બાદ પણ સરકારે યોગ્ય વ્યક્તિઓને જ આ સન્માનથી નવાજ્યા. આ એક સુખદ બાબત કહેવાય. સચીન તેંડુલકર અને પ્રોફેસર ચિંતામણી નાગેસા રામચન્દ્રા રાવ એટલે કે પ્રો. સી.એન.આર રાવ બંને સંપુર્ણ રીતે તમામ માપદંડો પ્રમાણે નિર્વિવાદ પણે પુર્ણતઃ યોગ્ય છે. આ બાબતે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને ધન્યવાદ અને શાબાશ!

        આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને સરકાર તરફથી બીજી ઘણી સવલતો આપવામાં આવે છે. જેમાં નોંધનીય એવી,
૧.      પુરા ભારતવર્ષમાં ફરવા માટે પ્લેનની ફર્સ્ટ ક્લાસની ફ્રી ટીકીટ,
૨.      પુરા ભારતવર્ષમાં ફરવા માટે ટ્રેનની ફર્સ્ટ ક્લાસમાં ફ્રી ટીકીટ,
૩.      વડાપ્રધાનનાં પગારની બરાબર પેન્શન
૪.      ઉપર નોંધ્યું એ મુજબ કેબીનેટ કક્ષાનાં મંત્રીનો સામાજીક દરજ્જો
૫.      જરૂર પડે તો ‘ઝેડ’ કક્ષાની સુરક્ષા
૬.      પ્રજાસત્તાક દિને અને સ્વાતંત્ર્ય દિને સરકારી ખર્ચે સરકારી મહેમાન બની શકે છે.
૭.      દેશભરમાં વિવિઆઇપી (વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) એટલે કે અતિ અતિ મહત્વની
        વ્યક્તિનો દરજ્જો મળે છે.
૮.      આ એવોર્ડથી સન્માનિત વ્યક્તિનાં નિકટનાં કોઇપણ કુટુંબીજનને સરકારી નોકરી મળી શકે
        છે.

        આ તો મુખ્ય મુખ્ય સવલતો થઇ. એ સીવાયની ઘણીબધી સવલતો પણ આ વ્યક્તિ મેળવી શકે છે. ભૈ છેવટે એ ભારતની શાન સમાન ગૌરવ સમાન ‘ભારત રત્ન’ છે… સાહેબ!

ભારત રત્ન મેળવનાર મહાનુભાવો


અનુ.
નામ
સાલ
હયાતીમાં કે મરણોપરાંત
કાર્યક્ષેત્ર
૦૧
શ્રી ચક્રવર્તિ રાજગોપાલાચારી
(સી. રાજગોપાલાચારી)
૧૯૫૪
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા
૦૨
શ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન
૧૯૫૪
હયાતીમાં
રાષ્ટ્રપતિ
૦૩
શ્રી ડૉ. ચંદ્રશેખરા વેંકટા રમન
(સી. વી. રમન)
૧૯૫૪
હયાતીમાં
વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી
૦૪
શ્રી ભગવાન દાસ
૧૯૫૫
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, લેખક અને કાશી વિદ્યાપીઠનાં સ્થાપક
૦૫
ડૉ. મોક્ષગુન્ડમ વિશ્વેશ્વર્યા
૧૯૫૫
હયાતીમાં
સિવીલ ઇજનેર અને મૈસુરનાં દિવાન
૦૬
પંડિત જવાહરલાલ નહેરૂ
૧૯૫૫
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, લેખક અને પ્રથમ વડાપ્રધાન
૦૭
પંડિત ગોવિંદ વલ્લભ પંત
૧૯૫૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી
૦૮
ડૉ. ધોંડો કેશવ કર્વે
૧૯૫૮
હયાતીમાં
શૈક્ષણિક અને સામાજિક કાર્યકર્તા
૦૯
ડૉ. બીધાન ચન્દ્રા રૉય
૧૯૬૧
હયાતીમાં
તબિબ અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી
૧૦
શ્રી પુરશોત્તમદાસ ટંડન
૧૯૬૧
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને શૈક્ષણિક કાર્યકર્તા
૧૧
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
૧૯૬૨
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને પ્રથમ રાષ્ટ્રપતિ
૧૨
ડૉ. ઝાકીર હુસૈન
૧૯૬૩
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, વિદ્વાન અને ત્રીજા રાષ્ટ્રપતિ
૧૩
ડૉ. પાંડુરંગ વામન કાને
૧૯૬૩
હયાતીમાં
સંસ્કૃતનાં વિદ્વાન
૧૪
શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી
૧૯૬૬
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા, વિદ્વાન અને પ્રધાનમંત્રી
૧૫
શ્રીમતિ ઇન્દિરા ગાંધી
૧૯૭૧
હયાતીમાં
પ્રધાનમંત્રી
૧૬
શ્રી વરાહગીરી વેંકટા ગીરી
(વી. વી. ગીરી)
૧૯૭૫
હયાતીમાં
યુનિયન નેતા અને ચોથા રાષ્ટ્રપતિ
૧૭
શ્રી કુમારાસ્વામિ કામરાજ
૧૯૭૬
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને તમીલનાડુનાં મુખ્યમંત્રી
૧૮
સુશ્રી મધર મેરી ટેરેસા બોજાક્ષીહ્યુ
(મધર ટેરેસા)
૧૯૮૦
હયાતીમાં
મીશનરીનાં સ્થાપક અને નોબેલ વિજેતા
૧૯
શ્રી આચાર્ય વિનોબા ભાવૅ
૧૯૮૩
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા
૨૦
ખાન અબ્દુલ ગફાર ખાન
૧૯૮૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા
૨૧
શ્રી મરૂડુ ગોપાલન રામચન્દ્રન
(એમ. જી. રામચન્દ્રન)
૧૯૮૮
મરણોપરાંત
અભિનેતા અને તમિલનાડુનાં મુખ્યમંત્રી
૨૨
ડૉ. ભીમ રાવ રામજી આંબેડકર
૧૯૯૦
મરણોપરાંત
બંધારણનાં ઘડવૈયા, દલિતોનાં પ્રેરણામૂર્તિ
૨૩
ડૉ. નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા
૧૯૯૦
હયાતીમાં
નોબેલ વિજેતા
૨૪
શ્રી રાજીવ ગાંધી
૧૯૯૧
મરણોપરાંત
છઠ્ઠા પ્રધાનમંત્રી
૨૫
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ
૧૯૯૧
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને આઝાદભારતનાં ઘડવૈયા
૨૬
શ્રી મોરારજી રણછોડજી દેસાઇ
૧૯૯૧
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને ચોથા પ્રધાનમંત્રી
૨૭
મૌલાના અબુલ કલામ આઝાદ
૧૯૯૨
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને પ્રથમ શિક્ષણ મંત્રી
૨૮
શ્રી જેહાંગીર રતનજી દાદાભોઇ ટાટા (જે.આર.ડી. ટાટા)
૧૯૯૨
હયાતીમાં
ઉદ્યોગપતિ
૨૯
શ્રી સત્યજીત રૅ
૧૯૯૨
હયાતીમાં
બંગાળી ફિલ્મોનાં નિર્દેશક
૩૦
શ્રી ગુલઝારીલાલ નંદા
૧૯૯૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને અલ્પસમયિક પ્રધાનમંત્રી
૩૧
શ્રીમતિ અરૂણા આસફ અલી
૧૯૯૭
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા
૩૨
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
૧૯૯૭
હયાતીમાં
વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ
૩૩
શ્રીમતિ મદુરાઇ સન્મુખાવાદિવુ સુબ્બલક્ષ્મિ (એમ.એસ.સુબ્બલક્ષ્મિ)
૧૯૯૮
હયાતીમાં
કર્ણાટકી શાસ્ત્રિય ગાયિકા
૩૪
શ્રી ચીદમ્બરમ સુબ્રમણિયમ્
૧૯૯૮
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને કૃષિ પ્રધાન
૩૫
લોકનાયક જયપ્રકાશ નારાયણ
૧૯૯૮
મરણોપરાંત
લોકસેવક
૩૬
પ્રોફેસર આમર્ત્ય સેન
૧૯૯૯
હયાતીમાં
અર્થશાસ્ત્રી
૩૭
લોકપ્રિય ગોપીનાથ બાર્ડોલોઇ
૧૯૯૯
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને આસામનાં મુખ્યમંત્રી
૩૮
પંડિત રવિ શંકર
૧૯૯૯
હયાતીમાં
શાસ્ત્રિય સંગીતકાર
- સિતાર -
૩૯
સુશ્રી લતા દિનાનાથ મંગેશકર
૨૦૦૧
હયાતીમાં
લોકપ્રિય પાર્શ્વ ગાયિકા
૪૦
ઉસ્તાદ બિસ્મીલાહ્ ખાન
૨૦૦૧
હયાતીમાં
શાસ્ત્રિય સંગીતકાર
- શહેનાઇ -
૪૧
પંડિત ભીમસેન જોષી
૨૦૦૯
હયાતીમાં
શાસ્ત્રિય ગાયક
૪૨
પ્રોફેસર ચિંતામણી નાગેસા રામચન્દ્રા રાવ (સી.એન.આર.રાવ)
૨૦૧૪
હયાતીમાં
રસાયણ શાસ્ત્રી
૪૩
સચીન તેંડુલકર
૨૦૧૪
હયાતીમાં
ક્રિકેટર